આણંદ ટુડે | આણંદ,
પ્રભુ ઈસુ ખ્રિસ્ત કૃસ ઉપર મૃત્યુ પામ્યા અને ત્રીજે દિવસે પુન સજીવન થયા હતા, તે દિવસે ખ્રિસ્તી ધર્મ પાળનારા ઈસ્ટર સન્ડે તરીકે ઉજવણી કરે છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન નો દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને સવારથી જ ચર્ચ માં પ્રાર્થનાઓ થાય છે અને આજના દિવસે ૪૦ દિવસના ઉપવાસ પૂર્ણ થાય છે.
નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા- જીટોડીયા ખાતે મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ ઈસ્ટર સન્ડે એટલે કે પાસખા પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે આજનો દિવસ આપણને ઘણું શીખવી જાય છે, પ્રભુ ઈસુ નું મૃત્યુ ઉપર વિજય એટલે માનવ જાતની પાપ માંથી મુક્તિ. આપણે દરેક વ્યક્તિ જ્યાં રહીએ છીએ, નોકરી કરીએ છીએ, ત્યાં એવી રીતે કામ કરીએ જીવન જીવીએ કે એક સાચા પ્રભુના અનુયાયી તરીકે પ્રસ્થાપિત થઈએ. પ્રેમ શાંતિ ભાઈચારો અને ખાસ કરીને ક્ષમા એકબીજાને ક્ષમા આપવી, એકબીજાને માફી આપવી, તે જ આજના દિવસનો મુખ્ય સંદેશ છે, અને સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને સૌને પ્રેમનો માર્ગ બતાવે છે, આપણે બધા એકબીજા ઉપર પ્રેમ રાખીએ અને પ્રભુમય, શાંતિમય જીવન જીવીએ તેવી શુભેચ્છા પાઠવી હતી.
આજે ધર્મજનોએ એકબીજાને ગળે લગાવી પાસ્ખા પર્વની, પુનરુસ્થાન પામેલા પ્રભુ ઈસુની, ઈસ્ટર સન્ડે શુભેચ્છા પાઠવી હતી. આ દિવસે ચર્ચ ખાતે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાસખા પર્વના આગલા દિવસે રાત્રે મહા ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો.
***