AnandToday
AnandToday
Tuesday, 16 Jun 2026 18:30 pm
AnandToday

AnandToday

આણંદમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર એક્શન મોડમાં

1420 કેચપીટોની સફાઈ પૂર્ણ કરાઈ,07 ડીવોટરિંગ પંપ અને જેસીબી મશીનો તૈનાત

કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં પ્રિ-મોન્સૂન કામગીરીનો ધમધમાટ: નીચાણવાળા વિસ્તારોમાં જળ નિકાલ માટે નવી નિક બનાવવામાં આવી

નાગરિકોને ડ્રેનેજ લાઈનોમાં કચરો ન ફેંકવા અને સહયોગ આપવા મહાનગરપાલિકાની અપીલ


આણંદ, બુધવાર
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રીની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ આગામી ચોમાસાની ઋતુ દરમિયાન કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા નિવારવા અને નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાના હેતુથી વ્યાપક પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. 

મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે આયોજનબદ્ધ રીતે સફાઈ અને જાળવણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારે વરસાદની સ્થિતિમાં પણ જનજીવન પ્રભાવિત ન થાય અને ડ્રેનેજ નેટવર્ક પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં આવેલી કુલ 1420 કેચપીટોની સફાઈ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કેચપીટોમાં જમા થયેલ ગાદ, પ્લાસ્ટિક અને અન્ય અવરોધક કચરો દૂર કરવામાં આવ્યો છે, જેથી વરસાદી પાણીના નિકાલની ક્ષમતામાં વધારો થયો છે. 

આ ઉપરાંત, શહેરમાં આવેલી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનો અને ગટર લાઈનોની પણ સઘન સફાઈ અને જાળવણી કરવામાં આવી છે, જેથી ચોમાસા દરમિયાન ગટર ઉભરાવાની કે પાણી જામવાની સમસ્યા ન સર્જાય.

ભારે વરસાદ જેવી કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાએ 07 અત્યાધુનિક ડીવોટરિંગ પંપ તૈયાર સ્થિતિમાં રાખ્યા છે. આ પંપોને પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં તાત્કાલિક તૈનાત કરી શકાય તે માટે જરૂરી ટેકનિકલ સ્ટાફ અને સાધનસામગ્રીની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. 

શહેરના મુખ્ય અને ઉપકાંસોમાં પાણીનો પ્રવાહ અવરોધિત ન થાય તે માટે જેસીબી મશીન દ્વારા મોટા પાયે ડી-સિલ્ટિંગ અને સફાઈ કામગીરી કરવામાં આવી છે, જેમાં વર્ષોથી જમા થયેલ ઝાડ-ઝાંખર અને કાંપ દૂર કરી પ્રવાહને સરળ બનાવવામાં આવ્યો છે.

શહેરના નીચાણવાળા વિસ્તારોનું ઝીણવટભર્યું સર્વેક્ષણ કરીને જ્યાં અગાઉ પાણી ભરાવાની ફરિયાદો મળી હતી, તેવા સ્થળોએ જેસીબી દ્વારા ખાસ નિક (ચેનલ) બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ વ્યવસ્થા દ્વારા વરસાદી પાણીને નજીકના મુખ્ય કાંસ કે કુદરતી જળ સ્ત્રોતો તરફ વાળવામાં આવશે. 


મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ચોમાસા દરમિયાન સતર્ક રહી ફરજ બજાવવા કમિશનરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે. 

આપત્તિના સમયે ત્વરિત પ્રતિસાદ આપવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેનો નંબર 02692-243942/43/44 છે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ વરસાદી પાણીના નિકાલના માર્ગોમાં કચરો ન નાખે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે. "સ્વચ્છ, સુરક્ષિત અને જળભરાવ મુક્ત શહેર" ના સંકલ્પ સાથે મહાનગરપાલિકા વહીવટીતંત્ર આગામી ચોમાસા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
*****