ધર્મજ ખાતે આજે 20 મો ધર્મજ ડે ઉજવાશે, NRIનો થશે જમાવડો
આજ કલ ઓર આજ
તા. 12 જાન્યુઆરી Dt. 12 JANUARY
તારીખ તવારીખ : સંકલન : વિજય એમ. ઠક્કર
ધર્મજ ખાતે આજે 20 મો ધર્મજ ડે ઉજવાશે, NRIનો થશે જમાવડો
આણંદ જિલ્લાનાં પેટલાદ તાલુકાનાં ધર્મજ ગામે 'ધર્મજ ડે’ની ઉજવણી કરવાની શરૂઆત થઈ (2007)
પેટલાદ તાલુકાના ધર્મજ ગામે દર વર્ષે 12 જાન્યુઆરીએ “ધર્મજ ડે” ઉજવવામાં આવે છે.
આ પરંપરા વર્ષ 2007થી શરૂ થઈ હતી અને સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી તથા રાષ્ટ્રીય યુવા દિન સાથે જોડાયેલી છે.
2026માં આજે 12 જાન્યુઆરીએ ૨૦ મો ધર્મજ ડે ઉજવાશે, જેમાં પરદેશમાં વસેલા ધર્મજના વતનીઓ અને ગ્રામજનો એકત્રિત થઈ વિવિધ સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજશે.
* એમેઝૉન કંપનીનાં માલીક અને દુનિયાની સૌથી અમીર વ્યક્તિઓમાંના એક જેફ બેઝોસ (જેફરી પ્રેસ્ટન બેઝોસ)નો અમેરિકાનાં ન્યુ મેક્સિકોના આલ્બુક્યુર્કમાં જન્મ (1964)
અમેરિકન ઉદ્યોગસાહસિક, મીડિયા પ્રોપ્રાઇટર, રોકાણકાર અને વ્યાપારી અવકાશયાત્રી બેઝોસને ટાઇમ મેગેઝીને 1999માં ‘પર્સન ઑફ ધ યર’ તરીકે સન્માનિત કર્યાં હતા
બેઝોસે 1994ના અંતમાં ન્યૂયોર્ક સિટીથી સિએટલ સુધીની રોડ ટ્રીપમાં એમેઝોનની સ્થાપના કરી, કંપનીની શરૂઆત ઓનલાઈન બુકસ્ટોર તરીકે થઈ હતી અને ત્યારથી તે વિડિયો અને ઑડિયો સ્ટ્રીમિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સહિત અન્ય ઈ-કોમર્સ પ્રોડક્ટ્સ અને સેવાઓમાં વિસ્તરી ને વિશ્વની સૌથી મોટી ઓનલાઈન વેચાણ કંપની છે, આવક દ્વારા સૌથી મોટી ઈન્ટરનેટ કંપની છે
જાન્યુઆરી 2023 સુધીમાં US$109.3 બિલિયનની નેટવર્થ સાથે, બેઝોસ વિશ્વની પાંચમી સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે અને બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઇન્ડેક્સ અને ફોર્બ્સ બંને અનુસાર 2017 થી 2021 સુધી સૌથી ધનિક હતા
* ભારતીય સંસ્કૃતિનાં પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી સ્વામી વિવેકાનંદ (નરેન્દ્રનાથ દત્ત)નો કોલકાતામાં જન્મ (1863)
તેમણે ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો’નું સૂત્ર આપ્યું
ઈશ્વરની શોધ માટે રામકૃષ્ણ પરમહંસનાં શરણે ગયા અને ગુરુ-શિષ્યની અમર જોડીએ સમાજસુધારણાનું કાર્ય કર્યુ, સ્વામી વિવેકાનંદે 1 મે, 1897માં પોતાનાં ગુરુના નામ પરથી બેલૂરમાં ‘રામકૃષ્ણ મિશન મઠ’ની સ્થાપના કરી
તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપનાં રાષ્ટ્રોનાં ઇતિહાસનો અભ્યાસ કર્યો
વિશ્વ ધર્મ પરિષદ, શિકાગોમાં તા. 11 સપ્ટેમ્બર, 1893નાં રોજ તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનની સમજ આપી અને વૈશ્વિક પ્રસિદ્ધિ પામ્યા
* કોગ્રેસના આગેવાન પ્રિયંકા ગાંધી વાડરાનો નવી દિલ્હી ખાતે જન્મ (1972)
* કર્ણાટક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઈલીનો જન્મ (1940)
* ગુજરાત રાજ્યના પૂર્વ ગવર્નર કમલા બેનીવાલ (2009-14)નો રાજસ્થાનમાં જન્મ (1927)
* મેડિટેશનને વિશ્વભરમાં લોકપ્રિય 8 મહર્ષિ મહેશ યોગીનો છતીસગઢ રાજ્યમાં જન્મ (1918)
* કર્ણાટકમાં જન્મેલ અને ભારતના કોઈ ઘરાના સાથે બંધનમાં આવ્યા વિના પોતાની અલગ ગાયિકી દ્વારા લોકપ્રિય બનેલ શાસ્ત્રીય ગાયક કુમાર ગાંધર્વનું મધ્ય પ્રદેશમાં અવસાન (1992)
* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેતા તરીકે લોકપ્રિય અરુણ ગોવીલનો જન્મ (1958)
જેઓ દૂરદર્શનની રામાયણ ટીવી સિરિયલમાં ભગવાન શ્રી રામની ભૂમિકા માટે ખુબ જાણીતા અને આદરપાત્ર બન્યા
* જમ્મુ અને કાશ્મીર રાજ્યના બે વખત મુખ્યમંત્રી બનેલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુફ્તિ મોહંમદ સઈદનો જન્મ (1936)
* મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજના માતા જીજાબાઈ (જીજાબાઈ શાહજી ભોસલે)નો મહારાષ્ટ્રમાં જન્મ (1598)
* ભારતીય ઉદ્યોગપતિ બસંત કુમાર બિરલાનો જન્મ (1921)
* ‘ભારત રત્ન’થી સન્માનિત થીઓસૉફિસ્ટ અને સામાજિક કાર્યકર ડૉ.ભગવાન દાસનો વારાસણીમાં જન્મ (1869)
* ઇંગ્લેન્ડનાં ટોરક્વેમાં જન્મેલ અંગ્રેજી નવલકથાકાર અગાથા ક્રિસ્ટી (મેરી ક્લેરિસા અગાથા મિલર)નું અવસાન (1976)
ક્રિસ્ટીએ 80 જેટલી નવલકથાઓ, 30 ટૂંકી વાર્તાઓ અને 15 નાટકો લખ્યાં અને 100 જેટલી ભાષાઓમાં તેમની નવલકથાઓ અનુવાદિત થઈ છે
* વેસ્ટ ઇન્ડીઝ ટીમના ક્રિકેટર રીચી રિચર્ડસનનો જન્મ (1962)
તેમને વર્લ્ડ કપમાં 20 મેચ રમવા સાથે 224 વન ડે અને 86 ટેસ્ટ મેચ રમવાનો અનુભવ છે
* બોલિવૂડના લોકપ્રિય અને સફળ અભિનેતા અમરીશ પુરીનું મુંબઈ ખાતે અવસાન (2005)
* હિન્દી ફિલ્મ સંગીતકાર અને ગાયક સી. રામચંદ્ર (રામચંદ્ર નરહર ચિતાલકર)નો મહારાષ્ટ્રમાં જન્મ (1918)
* હિન્દી ટીવી અભિનેત્રી સાક્ષી તનવરનો જન્મ (1973)
* બોલિવૂડના લોકપ્રિય ગાયિકા શિબાની કશ્યપનો દિલ્હી ખાતે જન્મ (1979)
* એલસીડી સ્ક્રીનનાં શોધક જેમ્સ લી ફર્ગસનનો અમેરિકાનાં મિસુરી રાજ્યનાં બાકેન્ડા ખાતે જન્મ (1934)
* ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ *
ભારતીય સંસ્કૃતિનાં પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી સ્વામી વિવેકાનંદનો જન્મદિન 'રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે ઉજવાય છે
* મહાત્મા ગાંધીએ પોતાનું છેલ્લું ભાષણ આપ્યું (1948)
મહાત્મા ગાંધી 1947માં ભારતના વિભાજનથી તેઓ ખૂબ જ દુઃખી હતા અને સાંપ્રદાયિક હિંસા સામે ભૂખ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો
* વિશ્વની સૌથી મોટી સમુદ્રી લાઇનર, RMS ક્વીન મેરી 2, તેની પ્રથમ સફર શરૂ કરી (2004)
* ભારતના બાપુ નાડકરણી (રમેશ ચંદ્ર ગંગારામ નાડકરણી) એ એવી અદભુત બોલીંગ કરી કે સતત 17 મેડન ઓવર સાથે 131 બોલ નાંખવા સુધી સામે ઈંગ્લેન્ડની ટીમના બંને બેટ્સમેન કોઈ રન લઈ જ ન શક્યા (1964)
* ગુજરાતના મહેસાણાની (16 વર્ષ) તસનીમ મીર એ અંડર 19 ગર્લ્સ બેડમિન્ટન સ્પર્ધામાં વર્લ્ડ નંબર 1 નુ સ્થાન પ્રાપ્ત કર્યું (2022)
આ સ્થાન પ્રાપ્ત કરનાર તે પ્રથમ ભારતીય છે, જેમના પિતા ઈરફાન મીર ગુજરાત પોલીસમાં એએેસઆઈ છે અને તેણીના કોચ પણ છે તથા આગલા વર્ષે તેણી બેડમિન્ટન રેન્કિંગમાં બીજા ક્રમે હતી
* કેરેબિયન ટાપુ હૈતી પર 7ની તીવ્રતાથી આવેલા ભૂકંપને કારણે લગભગ 2,00,000 લોકો અવસાન પામ્યાં હતાં અને 8,95,000 જેટલાં લોકોએ ઘર ગુમાવવાનો વારો આવ્યો (2010)
***