1003060374

આણંદમાં નશા વિરોધી અભિયાન,વ્યસન નહીં, જીવન પસંદ કરો

આણંદમાં નશા વિરોધી અભિયાન,વ્યસન નહીં, જીવન પસંદ કરો

વસંતપંચમી અને સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે આણંદ જિલ્લા N S U I નું ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન

યુવાનોને વ્યસનથી દૂર રાખી સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા કોલેજ–યુનિવર્સિટી કેમ્પસોમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા

આણંદ ટુડે | આણંદ

વસંતપંચમીના પવિત્ર દિવસે તથા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે આણંદ જિલ્લાના યુવાનોને વ્યસનથી દૂર રાખી સ્વસ્થ, સશક્ત અને જવાબદાર નાગરિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે આણંદ જિલ્લા NSUI દ્વારા વ્યાપક સ્તરે ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાનનું નેતૃત્વ પૂ. સેનેટ સભ્ય તથા વિદ્યાર્થી નેતા શ્રી અલ્પેશભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લા NSUIના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ ચાવડા (એડવોકેટ)ના માર્ગદર્શન હેઠળ તેમજ સામાજિક કાર્યકર્તા શ્રીમતી અવનીબા મહિડા, વડોદરા NSUI પ્રમુખ શ્રી અમર વાઘેલા, શ્રી પ્રદીપ લકુમ, શ્રી હર્ષ દવે સહિત NSUIની સમગ્ર ટીમ દ્વારા આ અભિયાનને અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું.

આણંદ જિલ્લાના વિવિધ કોલેજો તથા યુનિવર્સિટી કેમ્પસોમાં NSUI ટીમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધી મુલાકાત લઈ નશાના સામાજિક, શારીરિક અને માનસિક દુષ્પ્રભાવ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આજના સમયમાં યુવાનોને નિશાન બનાવતી ડ્રગ્સ જેવી સામાજિક બુરાઈ દેશના ભવિષ્ય માટે ગંભીર ખતરો બની રહી છે; ત્યારે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવી સમયની તાતી માંગ છે.

NSUI હંમેશા વિદ્યાર્થીઓના હક, શિક્ષણની ગુણવત્તા તથા સમાજના સર્વાંગી હિત માટે સંઘર્ષ કરતી આવી છે અને આ અભિયાન એ જ સંઘર્ષનો મહત્વપૂર્ણ ભાગ છે. આ અવસરે શ્રી અલ્પેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, “જેમ નેતાજી સુભાષ ચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજ રચી અંગ્રેજો સામે લડત આપી હતી, તેમ ગુજરાત NSUI વિદ્યાર્થીઓના સાથ-સહકારથી ડ્રગ્સ મુક્ત ફોજ ઊભી કરી વ્યસન મુક્ત કેમ્પસ બનાવશે.”

અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓએ વ્યસન મુક્ત જીવન જીવવાનો સંકલ્પ લઈ શપથ લીધા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ NSUIના આ અભિયાનને ખુલ્લું સમર્થન આપ્યું હતું અને આવનારા સમયમાં પણ આવા જાગૃતિસભર કાર્યક્રમોમાં જોડાવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી