
આણંદ ટુડે | રાજપીપલા
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ કોઠંબા ગામના વતની અને હાલ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલ ગોરા (નપુવ) પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શાંતિલાલ કોદરભાઈ ભોઈને ગુજરાત રાજય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક - ૨૦૨૫ થી સન્માનિત કરાયા છે. શિક્ષક દિને તેમને ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા રાજયના સર્વોચ્ચ સન્માન રાજય પારિતોષિક શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
આદિવાસી વિસ્તારમાં છેલ્લા ૨૬ વર્ષથી એક જ શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતાં શ્રી શાંતિલાલ કોદરભાઈ ભોઈને સેવાકાળના શિક્ષણકાર્યમાં વિશિષ્ટ અને પ્રયોગાત્મક શિક્ષણકાર્ય કરવાની આગવી ઓળખ ધરાવે છે. તેમની નિમણૂંક સમયે શાળાને મકાન પણ નહતું, આવી પરિસ્થિતિમાં ભૌતિક સુવિધા વગર શાળા અને વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ કરવાના પડકાર સામે હકારાત્મક વિચારોથી કાર્ય કરતા રહ્યા. માત્ર SSC અને PTCની લાયકાતથી પ્રાથમિક શિક્ષક તરીકે શરૂઆત કરી માસ્ટર ડીગ્રી સુધી શાળા અને વિદ્યાર્થીઓને સાંપ્રત સમય પ્રમાણે શિક્ષણ આપવા અભ્યાસ કર્યો. જેનો લાભ શાળા અને વિદ્યાર્થીઓને મળ્યો. તેમને તેમની સેવાકાળ દરમિયાન અનેક શૈક્ષણિક નવતર પ્રયોગો કર્યા જેની શાળાથી શરૂ કરીને તાલુકા, જિલ્લા, રાજય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક સુધી નોંધ લેવાઈ છે. માત્ર શાળાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે શરૂ કરેલ નવતર પ્રયોગ તાલુકા, જિલ્લા અને રાજયના વિદ્યાર્થીઓને લાભ થાય તેવા સતત પ્રયાસો રહ્યા છે. તેમને પ્રતિભાશાળી શિક્ષક, તાલુકા શ્રેષ્ઠ શિક્ષક ઈનોવેટીવ શિક્ષક, પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં શૈક્ષણિક ટેબ્લો સન્માનપત્ર, સાથે નર્મદા જિલ્લાનું સર્વોચ્ચ સન્માન “નર્મદા રત્ન” મળ્યુ છે. તેમજ રાજય કક્ષાએ કોરોના વોરિયર્સ યોદ્ધા સન્માનપત્ર, સાંદિપની આશ્રમ, પોરબંદર દ્વારા ગુરુ ગૌરવ એવોર્ડ, અચલા ટ્રસ્ટ દ્વારા અચલા શ્રેષ્ઠ શિક્ષક, મોરારિબાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ, ગુજરાત ગૌરવ સન્માન, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર, બાલરક્ષક પ્રતિષ્ઠાન ગુજરાત દ્વારા “ગુજરાત શિક્ષા સેવા રત્ન એવૉર્ડ મળેલ છે. આંતરરાજય કક્ષાએ ભવ્યા ફાઉન્ડેશન,જયપુર રાજરસ્થાન દ્વારા હિન્દ શિરોમણી અને ગ્લોબલ એક્સિલન્સ, એવૉર્ડ તેમજ ગ્લોબલ સ્કૉલર્સ ફાઉન્ડેશન, પુના મહારાષ્ટ્ર દ્વારા શિક્ષા રત્ન એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષણકાર્યમાં INDIA BOOK OF RECORDS અને વર્લ્ડ બુક રેકોર્ડ ઓફ એક્સિલન્સમાં રેકોર્ડ બદલ ગોલ્ડ મેડલ સાથે સન્માનપત્ર મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેમજ ઉચ્ચકોટીની રાષ્ટ્રીય કામગીરી બદલ ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી-૨૦૧૧માં “કાંસ્ય પદક” સાથે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યુ છે. જિલ્લા અને રાજય કક્ષાએ તેમના આ ભગીરથ કાર્યની નોંધ લઈ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા રાજયના સર્વોચ્ચ સન્માન રાજય પારિતોષિક શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.