
આણંદ ટુડે | આણંદ,
સરદાર પટેલની ૧૫૦ જન્મજયંતિના અવસરે રાજ્યની તમામ વિધાનસભા મતવિસ્તારમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અન્વયે આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની એકતા પદયાત્રા સાંસદશ્રી મિતેશભાઈ પટેલ તથા ધારાસભ્યશ્રી ગોવિંદ પરમાર સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
આ પ્રસંગે સાંસદશ્રી મિતેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, સરદાર પટેલે દેશની આઝાદી બાદ ૫૮૨ રજવાડાઓને માત્ર ૧૮ મહિનામાં જ દેશમાં વિલીનીકરણ કરીને અદ્દભૂત કાર્ય કર્યું હતું. તેમાં પણ જૂનાગઢ અને હૈદરાબાદ જેવા રાજ્યોનું સરદાર પટેલે કુનેહપૂર્વક ભારતમાં વિલિનીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં સિંહફાળો આપ્યો હતો. ભારતની એકતા અને અખંડિતતાના કાર્યોને બિરદાવવા કેવડિયામાં સરદાર પટેલની ૧૮૨ મીટર ઊંચાઈની પ્રતિમા સ્થાપીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને સાચા અર્થમાં ભાવાંજલિ અર્પણ કરી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજની પેઢીએ સ્વદેશી નિર્મિત ચીજ વસ્તુઓ ખરીદવાનો અનુરોધ કરતાં સાંસદશ્રીએ ઉપસ્થિત સૌને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બની વિકસિત ભારતના સંકલ્પ સાકર કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે મુખ્ય વકતા શ્રી કાંતિભાઈ ચાવડાએ સરદાર પટેલના જીવન કવનની વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે એસ.આઈ.આર. ની શ્રેષ્ઠ કામગીરી બદલ બીએલઓ શ્રી કલ્પેશભાઈ પટેલને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત વિવિધ શાળાના વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
પદયાત્રાના પ્રારંભમાં અને અંતમાં પદયાત્રામાં જોડાયેલા મહાનુભાવોએ સરદાર પટેલની અર્ધપ્રતિભાને સુતરની આંટી તથા ફૂલહાર પહેરાવીને ભાવાંજલિ આપી હતી. કાર્યક્રમ અંતે સ્વદેશીના સપથ લેવામાં આવ્યા હતા. સરદાર પટેલના દેશી રજવાડાના વિલિનીકરણના અદ્દભૂત કાર્યને બિરદાવતા સરદાર સ્મૃતિ વનમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.
આ એકતા યાત્રામાં ઓડ, બોરિયાવી નગરપાલિકાના પ્રમુખ સહિતના સભ્યો, તાલુકાની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, પૂર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યો, અધિકારી – પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
*********