AnandToday
AnandToday
Saturday, 20 Dec 2025 18:30 pm
AnandToday

AnandToday

હર ઘર સ્વદેશી ઘર - ઘર સ્વદેશી

આણંદ ખાતે ત્રિ દિવસીયસશક્ત નારી મેળા’નો પ્રારંભ

જિલ્લા પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા અને નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે ત્રિ દિવસીય ‘સશક્ત નારી મેળા’નો કરાવ્યો પ્રારંભ

મંત્રી શ્રી સહિતનાં મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ બહેનોને કર્યા પ્રોત્સાહિત

મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે સરકારની મુખ્ય પ્રાથમિકતા - પ્રભારી મંત્રી શ્રી સંજય સિંહ મહિડા

સશક્ત નારી મેળો હર ઘર સ્વદેશી ઘર - ઘર સ્વદેશી, વોકલ ફોર લોકલ ના મંત્રને ચરિતાર્થ કરી બહેનોની મહેનતને સાચું વળતર અપાવશે - રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

સશક્ત નારી મેળામાં ૯૫ સ્ટોલ્સમાં હેન્ડ મેડ જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ આઈટમ, ઇમિટેશન જ્વેલરી, હેન્ડલુમ, ઓર્ગેનિક હળદર પાવડર, ગાયના દૂધ આધારિત પ્રોડક્ટ, મસાલા, નમકીન, મહેંદી આર્ટ જેવી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ

આ મેળો ત્રણ દિવસ દરમિયાન સવારે ૧૦-૦૦ થી રાત્રે ૧૦-૦૦ કલાક સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે

આણંદ ટુડે | આણંદ,

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, આત્મનિર્ભર મહિલા, વોકલ ફોર લોકલ અંતર્ગત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી મહિલા સશક્તિકારણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદેશ્ય સાથે આણંદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો "સશક્ત નારી" મેળો યોજવામાં આવ્યો છે.

આણંદ ખાતેના "પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ" સાંગોડપુરા રોડ, આણંદ ખાતે ‘સશક્ત નારી મેળા’નો પ્રારંભ મહેસુલ રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા અને નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલએ કરાવ્યો હતો. 

સશક્ત નારી મેળાને ખુલ્લો મુક્યા બાદ મંત્રી શ્રી અને મહાનુભાવોએ મેળામાં ઊભા કરવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મેળા ખાતે મૂકવામાં આવેલ વિવિધ વસ્તુઓની જાણકારી લીધી હતી અને મંત્રીશ્રી અને મહાનુભાવો એ મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રભારી મંત્રીશ્રીએ મહિલા કારીગરો સાથે સીધો સંવાદ સાધી તેમના દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓ વિશે માહિતી મેળવી હતી અને બહેનોના અદભૂત હસ્તકલા-કૌશલ્યને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું.

આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે મહિલા સશક્તિકરણના ઉમદા હેતુથી સખી મંડળનો પાયો નાખ્યો હતો, જે આજે વટવૃક્ષ બનીને બહેનોને રોજગારી પૂરી પાડી રહ્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આણંદ ખાતે સશક્તનારી મેળામાં ૯૫ સ્ટોલ્સમાં હેન્ડ મેડ જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ આઈટમ, ઇમિટેશન જ્વેલરી, હેન્ડલુમ, ઓર્ગેનિક હળદર પાવડર, ગાયના દૂધ આધારિત પ્રોડક્ટ, મસાલા, નમકીન, મહેંદી આર્ટ, બેકરી આઈટમ, ખાખરા, નેચરલ સાબુ, તોરણ, ચોખાની પાપડી, સાડી, કાપડની બેગ, કૃષ્ણના વાઘા તથા પૂજાપાની સામગ્રી, આયુર્વેદિક આઈટમ, ડ્રેસ મટીરીયલ, એલોવેરા અને ઓર્ગેનિક પ્રોડક્ટ, મિલેટ્સ વેલ્યુ એડિસન પ્રોડક્ટ જેવી વિવિધ વસ્તુઓનું પ્રદર્શનને આ મેળા દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ મળ્યું છે. 'વોકલ ફોર લોકલ' અને 'સ્વદેશી અપનાવો'ના મંત્રને ચરિતાર્થ કરતા આ આયોજનમાં સીધું બજાર મળવાથી બહેનોની મહેનતનું સાચું વળતર મળશે. તેમણે જિલ્લાના નાગરિકોને આ મેળાની મુલાકાત લઈ બહેનો દ્વારા નિર્મિત સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહિત કરવા ભાવભરી અપીલ કરી હતી.

નાણાં રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા માટે નારીઓ દ્વારા વોકલ ફોર લોકલ ને ચરિતાર્થ કરતું આ સશક્ત નારી મેળાના માધ્યમથી સ્વદેશી અપનાવવાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે અને આ સ્વદેશી મેળામાં મૂકવામાં આવેલ વસ્તુઓ ઇન્ટરનેશનલ માર્કેટમાં હરીફાઈ કરી શકે તેવી વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે નારી શક્તિને વંદન કરવાનું મન થાય છે, તેમ જણાવી સ્ત્રી સશક્તિકરણ દ્વારા સ્વ ને જાગૃત કરી સ્વદેશીને બળ આપવાનું કામ કરવામાં આવ્યું છે. આ સશક્ત નારી મેળાના માધ્યમથી આણંદ જિલ્લાના નગરજનો ઘર બનાવટની વિવિધ વસ્તુઓ, મહિલાઓ દ્વારા સંચાલિત અને વેચાણ કરવામાં આવતી સ્વદેશી વસ્તુઓનું લોકો ખરીદી કરે અને બહેનોને પ્રોત્સાહિત કરે તે માટે તેમણે અનુરોધ કર્યો હતો.

આગામી ૨૩ ડિસેમ્બર સુધી ચાલનારા આ મેળામાં ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાર્થક કરતા સ્વદેશી ચીજવસ્તુઓના સંગમથી એક અનેરો માહોલ સર્જાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ મેળો દરરોજ સવારે ૧૦-૦૦ થી રાત્રે ૧૦-૦૦ કલાક સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે.

આ પ્રદર્શન-કમ-વેચાણ મેળામાં કુલ ૯૫ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલાની વસ્તુઓ, ઘરવપરાશની ચીજો, શણગારની સામગ્રી અને અન્ય સ્વ-ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. નગરજનો સીધા કારીગરો પાસેથી ખરીદી કરવાની તક મળશે.

આ પ્રસંગે આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.વી. દેસાઈ સહિત મહિલાઓ, ગ્રામજનો, ડીઆરડીએ કચેરીના કર્મયોગીઓએ ઉપસ્થિત રહી મહિલાઓના આત્મનિર્ભર પ્રયાસોને બિરદાવ્યા હતા અને મંત્રીશ્રીની સાથે સશક્તનારી મેળામાં વિવિધ સ્ટોલ ની મુલાકાત લઈ તેઓ પણ પ્રભાવિત થયાં હતા.

****