
આણંદ
આણંદ શહેર પાસેના શિક્ષણ ધામ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની ભાઈકાકા લાયબ્રેરીના પ્રાંગણમાં ગત તા. ૨૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ એક ગરિમાપૂર્ણ સમારોહમાં "રીડર્સ ક્લબ " નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતામાં આ ક્લબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેરના જાણીતા ડર્મેટોલોજીસ્ટ ડૉ. પ્રતીક અગ્રવાલ મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
રીડર્સ ક્લબના માધ્યમથી વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી સ્ટાફ તેમજ આણંદ શહેરના નાગરિકોમાં વાંચનની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. ક્લબ દ્વારા પુસ્તકો પ્રત્યેનો રસ વધે, વિચારવિમર્શ અને જ્ઞાનના આદાન-પ્રદાન માટે સકારાત્મક મંચ ઉપલબ્ધ બને તેવા ઉદ્દેશ્યો સાથે આ પહેલ શરૂ કરવામાં આવી છે.
આ પ્રસંગે કુલપતિશ્રી પ્રો. નિરંજનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રીડર્સ ક્લબ દ્વારા વાંચનને પ્રોત્સાહન મળવાની સાથે વિચારવિમર્શ અને જ્ઞાનવિસ્તાર માટે નવી ઊર્જાનો સંચાર થશે. મુખ્ય અતિથિ ડૉ. પ્રતીક અગ્રવાલે પણ વાંચનનું જીવનમાં મહત્વ સમજાવી આ પહેલને બિરદાવતાં જણાવ્યું હતું કે, પુસ્તકો માનવજીવનના શ્રેષ્ઠ સાથી છે.
યુનિવર્સિટી તરફથી આણંદ શહેરના તમામ પુસ્તકપ્રેમીઓને રીડર્સ ક્લબનો મહત્તમ લાભ લેવા તથા જ્ઞાનયાત્રામાં સહભાગી બનવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.