1003865029

હક અને ન્યાય માટે શિક્ષકો મેદાનમાં, 17 જૂને આણંદમાં એક દિવસીય ધરણાં એલાન

હક અને ન્યાય માટે શિક્ષકો મેદાનમાં, 17 જૂને આણંદમાં એક દિવસીય ધરણાં એલાન


TET મુદ્દે ન્યાયસંગત ઉકેલની માંગ સાથે શિક્ષક સમાજ એકજૂથ થશે 

આણંદ ટુડે | આણંદ
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની પ્રેરણા તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા TET સંબંધિત પ્રશ્નોના ન્યાયસંગત ઉકેલની માંગ સાથે તા. 17 જૂન, 2026ના રોજ વિશાળ એક દિવસીય ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિક્રમસિંહજી ગરાસિયાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, TET મુદ્દો માત્ર શિક્ષકોનો પ્રશ્ન નથી, પરંતુ શિક્ષક સમાજના ગૌરવ, સ્વાભિમાન અને ન્યાય સાથે સીધો જોડાયેલો મુદ્દો છે. શિક્ષકોની વ્યાજબી માંગણીઓ સરકાર સુધી અસરકારક રીતે પહોંચે અને તેનો હકારાત્મક ઉકેલ આવે તે હેતુથી આ ધરણા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ શિક્ષક સમાજની એકતા અને સંગઠિત શક્તિનું પ્રતિક બનશે. જિલ્લાના તમામ તાલુકા શિક્ષક સંઘોના હોદ્દેદારો, કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાઈ શિક્ષક હિતના પ્રશ્નો માટે એકજૂથ બની પોતાનો અવાજ બુલંદ કરશે.
સમગ્ર આણંદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષકોની ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ સફળ બને અને શિક્ષક સમાજની એકતાનો મજબૂત સંદેશ રાજ્ય સરકાર સુધી પહોંચે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

*જિલ્લાભરના શિક્ષકોને જોડાવા અપીલ*


આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા. 17 જૂન, 2026ના રોજ બપોરે 1:00થી 3:00 વાગ્યા સુધી ઉમાભવન પાસે, આણંદ-સોજિત્રા રોડ ખાતે વિશાળ ધરણા કાર્યક્રમ યોજાશે. જિલ્લાના તમામ શિક્ષકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.